હનુમાન દાદા ના વ્યક્તિત્વ માંથી શીખવા જેવી અમુક વાત


               હનુમાન દાદા, બજરંગ બલી,પવન પુત્ર અરે કેટલાય નામેં આપણે એમને ઓળખીએ છીએ. નાની નાની વાત માં એમને યાદ કરીએ છીએ. ભલે ગમે એવડો મોટો પ્રોબ્લેમ હોય કે નાની એવી વાત હોય. પેલા જો કોઈ નું નામ આવે મારા મોઢા પર તો એ હોય મારા હનુમાન દાદા. કોઈ નાનું એવું બાળક ભૂત થી કે આવી કોઈ વાત થી ડરતું હોય ને એટલે આપણે એને કહીએ હનુમાન ચાલીસા બોલ. મારું પણ આવું જ છે, એક ભૂત નું મુવી જોઈ ને પણ સુતા પહેલા હનુમાન ચાલીશા બોલવી પડે છે.આપણે લોકો હનુમાન ને એક ભગવાન તરીકે ઓળખીએ છીએ.હવે આ દુનિયામાં ભગવાન છે કે નહિ એ કદાચ એક એવો પ્રશ્ન છે કે પેલા મરઘી આવી કે ઈન્ડુ? એ વાત ઉપર ગમે એટલું ડીસકસ કરીએ પણ છેલ્લે એ વાત નું કઈ પણ સોલ્યુશન મળે જ નહિ. અમુક લોકો માનતા હોય કે હા ભગવાન છે. અમુક એવું માનતા હોય કે એવું કઈ પણ આ દુનિયામાં છે જ નહિ. જો કે એ તો પોત પોતાની શ્રધ્ધા નો વિષય છે.

            પણ આજે જે વાત કહેવી છે ને મારે એમાં કોઈ માણસ ભગવાન ને માનતા હોય કે ન માનતા હોય પણ, કદાચ આ વાત એમને ગમશે એવું હું માનું છુ.કારણકે આજે મારે મારા હનુમાન દાદા ની વાત કરવી છે.એ પહેલા ચાલો ખાલી થોડી વાર માટે ભૂલી જાવ કે હનુમાન એક ભગવાન છે.એમને એક વ્યક્તિત્વ તરીકે જોવ.રામાયણ ના કિસ્સા તો બધાએ સાંભળ્યા જ હશે.


મેં અમુક બુક વાચી છે.મોટા મહાન લોકો ના લેખ વાચ્યા છે. એમના ઈન્ટરવ્યું સાંભળ્યા છે. એ બધા માંથી કઈક ને કઈક શીખવા મળે. ઘણા લોકો ને આઇડીયલ કહી શકાય એવા વ્યક્તિત્વ છે આ દુનિયામાં. પણ એક વ્યક્તિત્વ એમના વિષે  જયારે પણ મેં વિચાર કર્યો, હા! પણ એમને ભગવાન માની ને નહિ હો.પણ એક વ્યક્તિત્વ માની ને ત્યારે ખરેખર બીજા બધા લોકો એમની સામે ફિક્કા લાગ્યા અને એ વ્યક્તિત્વ એટલે મારા હનુમાન દાદા. એમની પાસે થી કેટલું બધું શીખવા જેવું છે.


પેલી વાત તો એમની જે ગમી હોય ને, તો એ છે એમનું ડેરિંગ. યાદ છે રામાયણ માં જયારે લક્ષ્મણ ને બાણ લાગ્યું હતું. એમની જીવવા ની શક્યતા એકદમ ઓછી હતી. જયારે કોઈ તૈયાર ન હતું સંજીવની લાવવા. ત્યારે જવાબદારી લેવા તૈયાર થયુ એવું એક માત્ર પાત્ર એટલે હનુમાન. એ સમયે હનુમાન દાદા એ કઈ હિમાલય નો રસ્તો જોયો ન હતો. પણ એમણે હિંમત કરી કે હા હું જઈશ અને પછી એવું પણ નથી કે હિંમત કરી એટલે બધું પૂરું. એ ગયા ત્યાં રસ્તામાં ઘણા પ્રોબ્લેમ એમને આવ્યા. એમને ઇન્જરી થઇ એમની સાથે કોઈ એ સાધુ બની ને કપટ કર્યું.પણ એ ત્યાં બેસી ને રોયા નહી. એના બદલે  એમને પરિસ્થિતિ નો બહાદુરીથી સામનો કર્યો અને એ સફળ પણ થયા.


હનુમાન દાદા ના પિતા એક રાજા હતા. અને એ પોતે એટલા બહાદુર અને શક્તિશાળી હતા એની તો કદાચ આપણે કોઈ કલ્પના પણ ન કરી શકીએ.એમની પાસે એટલી તાકાત હતી. એમના પપ્પા નું બેઠું રાજ પાઠ હતું પણ છતાય એમણે કોઈ પણ જગ્યા એ રાજ કર્યું જ નહિ એ વાત તો એમની દિલ થી ગમે. ક્યારેક કોઈ ને બતાવી દેવા હું આમ છુ ને હું બહાદુર છુ ને હું આમ ને હું તેમ આવું હું પણું જે કહેવાય ને એ તો એમના માં ક્યારેય દેખાયું જ નહિ. આ વસ્તુ તો આપણે ખાસ શીખવી જોઈએ એમની પાસેથી.


હું જયારે નાની હતી અને રામાયણ જોતીને ત્યારે હનુમાન દાદા જયારે લંકા માં અશોક વાટિકા માં જઈ ને ઓલા બધા રાક્ષશ ને હેરાન કરતા હોય. અને બિન્દાસ બધા ફ્રુટ ખાતા હોય.એ જોવું તો મને બહુજ ગમતું. ત્યારે એ સીનને હું બહુજ એન્જોય કરતી પણ હવે મોટી થઇ ત્યારે એમાંથી એક અદ્ભુત વાત સીખી ગઈ.અને એ વાત છે, જયારે હનુમાન દાદા અશોક વાટિકા માં  હોય  ત્યારે લંકા માં બધા હનુમાન દાદા ને મુર્ખ વાનર છે. ને આવો છે ને તેવો છે ને  કેવું કેવું બોલે છે. પણ હનુમાન દાદા  કઈ પણ સાંભળ્યા વિના મસ્ત એમની મોજ માં જ હોય છે. એમને જયારે અંદર સભા સામે લઇ જાય છે. ત્યારે પણ, લોકો એમના પર હસતા હોય છે.


છતાય,એ જરા પણ ગુસ્સો નથી કરતા. એતો એમની મસ્ત મોજ મા જ હોય છે અને એ લોકો ને કઈ વળતો જવાબ પણ નથી આપતા. પણ જયારે સમય આવે, ત્યારે લંકા સળગાવી ને એમને એવો જવાબ આપે છે જે જવાબ હજુ આજ સુધી આપણે યાદ કરીએ છીએ. તો આ વાત પણ શીખવાની કે ભલે ને આપણે ગમે ત્યાં હોઈએ.ભલે ને  આપણે એકલા જ હોયએ. લોકો આપણા વિશે જે કહેતા હોય જે વિચારતા હોય એમના લીધે આપણે આપણી મોજ નહી મુકવાની અને સમય આવે એટલે ચોક્કસ જવાબ પણ આપી જ દેવાનો. પણ બોલી ને કે ગુસ્સે થઇ ને નહી, સાબિત કરી ને.


બીજા ને મદદ કરવાની ભાવના એ પણ કોઈ અંગત સ્વાર્થ વિના. પછી હમેંશા નાના હોય કે મોટા લોકો બધા નું સન્માન કરવું, ક્યારેય હાર નહિ માનવાની પછી ભલે ને પરીસ્થીતી ગમે એટલી વિકટ હોય, એમનું કોઈ પણ કામ પ્રત્યે નુ ડેડીકેશન અને આવું તો કેટલુય એમની પાસે થી શીખી શકાય.


અને હા, ઘણા લોકો આવું માને કે હનુમાન દાદા બાલ બ્રહ્મચારી છે. એટલે મંદિર માં છોકરીઓ ને ન જવાય ને આમ ને તેમ તો હા માન્યું કે એ બાલ બ્રહ્મચારી છે. અને બ્રહ્મચારી આ શબ્દ ની એક જ વ્યાખ્યા ને હું માનું છુ અને એ વ્યાખ્યા મેં ઓશો રજનીશ ના ઓડીઓ માં  સાંભળી છે અને એ છે કે બ્રહ્મચારી એટલે એક એવો વ્યક્તિ કે જે કોઈ પણ કામ એટલી નિષ્ઠા થી કરે કે જયારે કોઈ પણ કામ એ કરતો હોય ત્યારે એને બીજા કોઈ પણ જાત ના આડા અવળા વિચાર આવે જ નહિ. મતલબ કે વિરાટ કોહલી જયારે ક્રિકેટ રમતો હોય અને એનો દાવ હોય ત્યારે એ ફૂલ કોન્સન્ટ્રેશન થી ક્રિકેટ જ રમતો હોય. ત્યારે એ એવો વિચાર ન કરે કે અત્યારે અનુષ્કા શું કરતી? હશે ને કેવી લાગતી હશે?અને જો આવા વિચાર એ કરે તો આટલા રન બનાવી જ ન સકે તો, એ દાવ પુરતો એ એક બ્રહ્મચારી વ્યક્તિ કહી શકાય. એમ આપણે પણ પૂરી નિષ્ઠા થી કોઈ કામ કરતા હોય એ સમયે આપણને કોઈ નો ખ્યાલ ન હોય કે શું થાય છે ને શું દુનિયા કરે છે. તો એટલા સમય પૂરતા આપણે બ્રહ્મચર્ય અવસ્થા માં જ હોય. આવું રજનીશ કહે છે અને આ વાત મને તો 100% ગળે ઉતરે જ છે.


તો આ વાત પર થી એ કહી જ શકાય કે હનુમાન દાદા ને એટલે બ્રહ્મચારી કહેવામાં આવે છે કારણકે એમના જીવન નું એક જ લક્ષ્ય હતું એમની જીવન ની એક જ નિષ્ઠા હતી અને એ હતી રામ ની ભક્તિ એમણે એ કામ એટલું નિષ્ઠા થી કર્યું ને, કે એમને બીજા કોઈ રાજપાઠ સંસાર ના વિચાર આવ્યા જ નહિ. આ માટે એમને બાલ બ્રહ્મચારી કહેવામાં આવે છે. એટલે એમાં એવું કોઈ કારણ નથી કે છોકરી એ એમને ન માનવા કે એમના મંદિર મા ન જવું કે કઈ પણ.


મને માણસ માં નિખાલસતા બહુજ ગમે અને હું પણ બને એટલી નિખાલસ બનવાનો પ્રયત્ન કરું. અને મને ગર્વ છે કે આવા એક નિખાલશ,નિશ્વાર્થ, બહાદુર, રમુજી વ્યક્તિત્વ ને હું મારા જીવન નો આદર્શ માનું છુ. બાકી હનુમાન દાદા ની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. આટલા બધા ધર્મ એટલા બધા ભગવાન, બધા પાસે થી ઘણું સીખવા મળે. દુનિયાનો કોઈ પણ ધર્મ જોઈ લો કોઈ પણ ભગવાન જોઈ લો કોઈ પણ મહાન વ્યક્તિત્વ જોઈ લો પણ,  એક નિખાલસતા કે રામ ની પૂજા કરો ને હનુમાન ખુશ થઇ જાય આવી ભાવના માત્ર ને માત્ર હનુમાન દાદા સિવાય બીજે ક્યાય જોવા જ ન મળે. અને કદાચ આ ભાવના આ નિખાલસતા ને લીધે જ મારા બેસ્ટ ફ્રેન્ડ અરે મારાજ નહિ પણ હજારો લાખો લોકો ના બેસ્ટ ફ્રેન્ડ એમના ભગવાન એમના આદર્શ મારા હનુમાન દાદા હશે.


હજુ તો ઘણું બધું જીવવાનું બાકી છે તો આશા કરું છુ કે આવીજ રીતે હનુમાન દાદા ના જીવન પ્રસંગો માંથી  ઘણું બધું સીખું અને એક એવી પણ આશા કે બધા લોકો એમને એક ભગવાન તરીકે જ નહિ પણ એક આદર્શ તરીકે જોવે અને એમની પાસે થી બોવ બધું સીખે અને એમના લાઈફ લેશન ને જીવન માં ઉતારે.

Comments